Sunday, March 22, 2009

રાજકીય પક્ષો અને રાજકારણીઓની દંભી બિનસાંપ્રદાયિકતા

ભારતના બંધારણ મુજબ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. તેથી આ ભાવનાનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. રાજકીય પક્ષો અને રાજકારણીઓ પણ આમાંથી બાકાત નથી. પરંતુ આપણા અમુક રાજકીય પક્ષો અને રાજકારણીઓ દંભી બિનસાંપ્રદાયિકતા ધરાવે છે. તેમની ગરજ અને સગવડ અનુસાર બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા બદલતા રહે છે. ખરી બિનસાંપ્રદાયિકતા એ છે કે બધા જ નાગરિકોના સમાન હક હોવા જોઈએ. બધી જ કોમો માટે સરખો ભાવ હોવો જોઈએ. આપણા કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષો અને સભ્યો ભાજપ જેવી પાર્ટીઓને કોમવાદી અને સાંપ્રદાયિક ગણાવે છે. અને પોતે લઘુમતિ જાતિના લાભ અંગે વધુ પડતા સભાન રહે છે. આ વાતની સાબિતિ આપતા દાખલા પર નજર કરીએ. (1) કોંગ્રેસ પાર્ટીના 2004ના વાર્ષિક અધિવેશનમાં વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને વાંધાજનક હોય તેવા કોઈ પગલાં ભરવા માંગતી નથી. પણ હિન્દુઓને વાંધાજનક એવી સેતુસમુદ્રમ યોજના મંજૂર કરી દેવાય છે. હિન્દુઓની લાગણીને માન આપવું કોંગ્રેસની દ્રષ્ટિએ કોમવાદ છે. (2) બીજા એક સમારંભમાં વડાપ્રધાને કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પ્રથમ હક મુસ્લિમોનો છે. ભાજપે ક્યારેય એવું કહ્યું નથી કે હિન્દુઓનો અમુક બાબતોમાં પહેલો હક છે. (3) બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-વિરોધી આરજેડી દ્વારા ઓસામા બિન લાદેન જેવા દેખાતા માણસને પ્રચારમાં ઉતાર્યો હતો. આમ કરવા પાછળનું કારણ સમજવું બહુ મુશ્કેલ નથી. (4) વોટબેંકની રાજનીતિ અંતર્ગત સંસદ પરના હુમલાખોર અફઝલ ગુરુની ફાંસી અટકાવવામાં આવી છે. (5) 2006માં વડોદરા મ્યુનિસિપાલિટીએ દબાણ હટાવવાના અભિયાન હેઠળ વીસ મંદિરો તોડ્યા ત્યાં સુધી કંઈ નવાજૂની ન બની પરંતુ એક દરગાહ તોડવા જતાં શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા. હાઈકોર્ટે  મ્યુનિસિપાલિટીને કામ ચાલુ રાખવા જણાવ્યું. પણ કેન્દ્ર સરકારે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં સ્ટે લેવડાવ્યો. મંદિરો તૂટવા એ તેમના માટે એક ગૌણ બાબત હતી. (6) 1998માં લાલકૃષ્ણ અડવાણીની બોમ્બ બ્લાસ્ટ દ્વારા હત્યાનો પ્રયત્ન કરનાર અબ્દુલ મદાનીના પક્ષ જોડે લઘુમતિઓની 24% વસ્તી ધરાવતા કેરલમાં 2001ની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા જોડાણ કરાયું હતું. આતંકવાદી કૃત્ય કરનાર ફક્ત મુસ્લિમ હોવાને લીધે સેક્યુલર કોંગ્રેસ અને લેફ્ટ માટે હીરો છે. (7) 2004માં સત્તા પર આવતા જ કોંગ્રેસ દ્વારા પૉટા કાયદો નાબૂદ કરવામાં આવ્યો. આવા તો સંખ્યાબંધ ઉદાહરણો છે. શું આ પરથી સાબિત થતું નથી કે આ રાજકીય પક્ષો અને તેમના સભ્યો પ્રજામાં પક્ષપાત કરે છે? શું આ લોકો ખરા બિનસાંપ્રદાયિક છે? આપણા દેશના બુધ્ધિજીવીઓ, મીડિયા, એનજીઓનું આ બધી બાબતો પ્રત્યે ધ્યાન જતું નથી. ફક્ત બિનજરૂરી અને ફાયદાકરક મુદ્દાઓની પબ્લિસીટી કરવામાં બધા પાવરધા છે. ભારતમાં યુપીએના ઘટક પક્ષો અને અન્ય ઘણી પાર્ટીઓ પોતાને બિનસાંપ્રદાયિક કહેવડાવે છે અને ભાજપને સાંપ્રદાયિક અને અછૂત પાર્ટી ગણે છે. જેમ તેમના કહેવા મુજબ ભાજપ કટ્ટર હિંદુત્વ ધરાવતું હોવાથી કોમવાદી છે. તેમ જ આ પાર્ટીઓને ફક્ત લઘુમતીઓના જ હિત દેખાય છે તો તેઓ પણ કોમવાદી જ કહેવાય. મુસ્લિમોનું હિત જાળવવામાં કંઈ વાંધો નથી પરંતુ ફક્ત લઘુમતિઓને જ ખુશ કરવાની નીતિ ઘડવી એ બિનસાંપ્રદાયિકતાનું અપમાન છે. પોતાને બિનસાંપ્રદાયિક કહેનારી આ પાર્ટીઓએ પોતાની અંદર નિહાળવાની જરુર છે. 

No comments: